ઝારખંડ: PM મોદીએ CAB મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી, કહ્યું- 'પૂર્વોત્તરમાં આગ લગાવવાની કોશિશ કરે છે'

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે ભાજપના સ્ટાર કેમ્પેઈનર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનબાદમાં ચૂંટણી પ્રચાર કર્યો. 

ઝારખંડ: PM મોદીએ CAB મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી, કહ્યું- 'પૂર્વોત્તરમાં આગ લગાવવાની કોશિશ કરે છે'

ધનબાદ: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Election 2019) ના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે ભાજપ (BJP) ના સ્ટાર કેમ્પેઈનર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ધનબાદમાં ચૂંટણી પ્રચાર કર્યો. એરપોર્ટ મેદાનમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પ્રદેશમાં પૂર્ણ બહુમતથી ભાજપની સરકાર બનવાની છે. તેમણે કહ્યું કે બે તબક્કાના મતદાનમાં ઝારખંડની જનતાએ પૂરા ઉત્સાહ સાથે મતદાન કર્યું. મને વિશ્વાસ છે કે બાકીના તબક્કાના મતદાનમાં પણ વધુમાં વધુ મતદાન થશે અને પૂર્ણ બહુમતથી સરકાર બનશે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો ઉપર આકરા પ્રહારો પણ કર્યાં. તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા શરણાર્થીઓનો ઉપયોગ કર્યો અને હવે આ બિલને લઈને પૂર્વોત્તરમાં આગ લગાવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથી ભ્રમ ફેલાવી રહ્યાં છે. પૂર્વોત્તર (North-east) ના લોકોને હું વિશ્વાસ અપાવું છું કે તેમણે કોઈના કહ્યામાં આવવાની જરૂર નથી. અમે તેમની સંસ્કૃતિ, ભાષા, માન, સન્માનને સમૃદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) ના બહાને પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ (Congress) ની નીતિ રહી છે કે લૂટો અને લટકાવો. તેમના નેતા દરેક ચૂંટણી પહેલા નિવેદન આપતા રહ્યાં છે  બહારથી આવનારા શરણાર્થીઓને નાગરિકતા આપીશું. પરંતુ થયું શું...હવે તેઓ પલટી ગયાં. આખરે શોષિત લોકોને અધિકાર મળવા જોઈએ કે નહીં? પાડોશી દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થયાં. લાખો લઘુમતીઓ સદીઓથી શોષિત રહ્યાં છે. અમે માનવતાની દ્રષ્ટિથી તેમને નાગરિકતા આપવા માંગીએ છીએ તો કોંગ્રેસે તેમાં પણ વિરોધ કરવો છે. 

ધનબાદને કઈ મળ્યું તો તે ધૂળ, ધુમાડો અને દગો
તેમણે કહ્યું કે દેવઘરમાં AIIMSની માગણી ક્યારથી થઈ રહી હતી જેને ભજાપ સરકારે પૂરી કરી. ઝારખંડમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવાની પણ ક્યારની માગણી થઈ રહી હતી પરંતુ તેના પર કામ અમારી સરકારે કર્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથીઓએ જો ધનબાદ, દેવઘર અને ઝારખંડને કઈ આપ્યું છે તો તે છે ધૂળ, ધુમાડો અને દગો, અહીંથી  કોલસો નીકળતો રહ્યો, પરંતુ અહીંની જનતાને પ્રદૂષણમાં છોડી દેવાઈ. સુવિધાઓના અભાવમાં છોડી દેવાઈ. 

અહીંથી નીકળતા કોલસા પર કોંગ્રેસ-JMMના નેતાઓએ મહેલ ઊભા કર્યા
તેમણે કહ્યું કે અહીંથી નીકળતા કોલસા પર કોંગ્રેસ-JMMના નેતાઓએ, તેમના સંબંધીઓએ, મિત્રોએ પોતાના મહેલ ઊભા કરી દીધા. પરંતુ અહીંની જનતાને ઝૂંપડીઓમાં રહેવા માટે મજબુર કરાઈ. હવે  ભાજપ સરકારે દરેક ગરીબ-બેઘર પરિવારને પોતાનું પાક્કુ ઘર અપાવવાનું બીડું ઉઠાવ્યું છે. 

કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથીઓ પૂર્વોત્તરમાં પણ આગ  લગાવવાની કોશિશ કરી રહ્યાં છે. ત્યાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો આવી જશે. જ્યારે કાયદો પહેલેથી ભારતમાં આવી ગયેલા શરણાર્થીઓની નાગરિકતા માટે છે. 31 ડિસેમ્બરે 2014 સુધી જે લોકો ભારતમાં આવ્યાં તે શરણાર્થીઓ માટે જ આ વ્યવસ્થા છે. એટલું જ નહીં પૂર્વોત્તરના મોટાભાગના તમામ રાજ્યો આ કાયદાના દાયરાની બહાર છે. 

અમારા પર વિશ્વાસ કરો, કહ્યામાં ન આવો
અસમના લોકોને શાંતિની અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે ખાસ કરીને આસામના મારા ભાઈ બહેનોને વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ તેમના અધિકારો છીનવી શકશે નહીં. તેમનો રાજકીય વારસો, ભાષા, અને સંસ્કૃતિને હંમેશાથી સંરક્ષિત કરવા અને તેને આગળ વધારવા માટે અમે કામ કરતા રહીશું. ત્યાંના યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત સરકાર પૂરી તાકાતથી ખભેથી ખભો રાખીને કામ કરશે. હું અપીલ કરું છું કે કોંગ્રસ અને તેના સાથીઓના કહ્યામાં ન આવો. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે દસ વર્ષ પહેલા જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલા વધ્યા તો ડઝન જેટલા ખ્રિસ્તી પરિવારો પોતાનો જીવ બચાવીને ભારત જ આવ્યાં હતાં. કારણ કે તેમના પૂર્વજો આ  ધરતી સાથે જોડાયેલા હતાં. પરંતુ આ લોકોને ભારતમાં આવ્યાં બાદ કોંગ્રેસની સરકારે સાથ આપ્યો નહીં. આજે જ્યારે આવા લાખો ગરીબ, પીડિત, વંચિત, શોષિત, દલિત પરિવારો, શીખ પરિવારો, ખ્રિસ્તી પરિવારોને ભાજપે પોતાના વચન મુજબ નાગરિકતા આપવાનો કાયદો બનાવ્યો તો કોંગ્રેસ અને તેના સાથીઓ તેનો પણ વિરોધ  કરી રહ્યાં છે. 

કોંગ્રેસની ડિક્ષનરીમાં જનહિત નથી
ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથીઓની ડિક્ષનરીમાં ક્યારેય જનહિત રહ્યું નથી. તેમણે હંમેશા સ્વહિત માટે, પરિવાર હિત માટે કામ કર્યું. આ જ કારણ છે કે કાળા સોના પર બેઠેલું આ ધનબાદ અને સંપૂર્ણ વિસ્તાર પ્રાકૃતિક સંપત્તિથી જેટલું સમૃદ્ધ છે એટલી જ વધુ ગરીબી અહીં રહી. 

રામ મંદિર બહાને પણ કોંગ્રેસ પર વાર
રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા પીએમ મોદીએ કહ્યું કે રામ જન્મભૂમિને લઈને જે વિવાદ સદીઓથી ચાલતો આવ્યો હતો, તેને કોંગ્રેસે જાણી જોઈને વધુ ગૂંચવ્યો. અમે કહ્યું હતું, અમારા સંકલ્પ પત્રમાં લખ્યું હતું કે રામ જન્મભૂમિ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલીશું. અમે અમારું વચન પૂરું કર્યું અને શાંતિપૂર્વક ઉકેલ્યો. આ જ રીતે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને લાખો કરોડો મુસ્લિમ મહિલાઓનું જીવન સુરક્ષિત કર્યું છે. 

પીએમએ 370નો મુદ્દો પણ ઉઠાવ્યો
પીએમ મોદીએ કહ્યું કે ભાજપે  તમને કહ્યું હતું કે દેશમાં એક જ બંધારણ લાગુ કરીશું. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય કાયદો લાગુ કરીશું. આજે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટી ગઈ છે અને ભારતનું  બંધારણ સંપૂર્ણ રીતે ત્યાં લાગુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news